Leviticus 5

1જો કોઈ પણ વ્યક્તિ સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે, તો તેણે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેને માટે તે પોતે જવાબદાર છે. 2અથવા જે બાબત ઈશ્વરે અશુદ્ધ તરીકે ઠરાવેલી છે તેનો જો કોઈ માણસ સ્પર્શ કરે, એટલે અશુદ્ધ પશુનો મૃતદેહ, જાનવરનો મૃતદેહ, અશુદ્ધ સર્પટિયાના મૃતદેહનો સ્પર્શ કરે અને તે વ્યક્તિના જાણવામાં ન આવતાં તેણે તેનો સ્પર્શ કર્યો હોય તો તે અશુદ્ધ અને દોષિત ગણાય.

3અથવા જો કોઈ માણસ કોઈપણ અશુદ્ધતાથી અશુદ્ધ થયો હોય અને તેની અશુદ્ધતાનો જો કોઈ સ્પર્શ કરે અને તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે દોષિત ગણાય.

4અથવા જો કોઈ માણસ દુષ્ટતા કરવાના અથવા સારું કરવાના સોગન પોતાના હોઠોથી વગર વિચારે ખાઈને ગમે તેમ તે કહે અને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે.

5જ્યારે તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે ત્યારે એમ થાય કે જે વિષે તેણે પાપ કર્યું હોય તે તે કબૂલ કરે. 6પછી જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાહને માટે તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતનું એક જાનવર, એટલે ઘેટું કે બકરી અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત કરે.

7જો તે હલવાનને ખરીદી ના શકતો હોય, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને સારુ તે યહોવાહને માટે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવે, એક પાપાર્થાર્પણને માટે અને બીજું દહનીયાર્પણને માટે. 8તે તેઓને યાજક પાસે લાવે, પાપાર્થાર્પણને માટે જે હોય તેને તે પ્રથમ ચઢાવે અને તે તેની ગરદન પરથી તેનું માથું મરડી નાખે, પણ તેના શરીર પરથી તેની ગરદન જુદી ન કરે. 9પછી તેણે પાપાર્થાર્પણના રક્તમાંનું થોડું રક્ત વેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દેવું. એ પાપાર્થાર્પણ છે.

10પછી બીજું પક્ષી તે વિધિપૂર્વક દહનીયાર્પણ તરીકે ચઢાવે, તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તેને માફ કરવામાં આવશે.

11પણ જો કોઈ તે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ખરીદીને ચઢાવી ના શકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તે પોતાને માટે અર્પણ લાવે. તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ કે તે તો પાપાર્થાર્પણ છે.

12તે તેને યાજક પાસે લાવે અને યાજક પ્રતીક તરીકે તેમાંથી મુઠ્ઠી ભરીને લોટ લઈ વેદી પર યહોવાહને ચઢાવેલાં અન્નના અર્પણ સાથે દહન કરે. એ પાપાર્થાર્પણ છે. 13આ કૃત્યોમાંના જે કોઈ વિષે તેણે પાપ કર્યું હોય તો યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે વ્યક્તિને માફ કરવામાં આવશે. ખાદ્યાર્પણની જેમ બાકીનું અર્પણ યાજકનું થાય.’”

14પછી યહોવાહે મૂસાને કહ્યું, 15“જો કોઈ વ્યક્તિ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને યહોવાહની પવિત્ર વસ્તુઓ વિષે અજાણતાં પાપ કરે, તો તે યહોવા પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે. ટોળામાંથી ખામી વગરનો એક ઘેટો, શેકેલ ચાંદી, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, દોષાર્થાર્પણને માટે લાવે. 16જે પવિત્ર વસ્તુ વિષે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપે અને વળી તેનો એક પંચમાંશ તેમાં ઉમેરીને યાજકને તે આપે. પછી યાજક તેને માટે દોષાર્થાર્પણના ઘેટા વડે પ્રાયશ્ચિત કરે અને તેને માફ કરવામાં આવશે.

17યહોવાહે આપેલી કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન જો કોઈ વ્યક્તિ અજાણતાથી કરીને પાપ કરે, તો તે દોષિત ઠરે અને તેના પાપની જવાબદારી તેને માથે. 18તે દોષાર્થાર્પણને માટે ટોળામાંનો ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે લાવે અને જે પાપ તેણે અજાણતાં કર્યું હોય, તો તે વિષે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે. આ દોષાર્થાર્પણ છે અને તે નિશ્ચે યહોવાહની આગળ દોષિત છે.”

19

Copyright information for GujULB